Tuesday, 20 March 2018

‘દલિત સંપદા:સાહિત્ય અને સૌંદર્ય’ = ગ્રંથાવલોકન.


                        દલિત સંપદા:સાહિત્ય અને સૌંદર્ય = ગ્રંથાવલોકન.
                                     પ્રો.ડો.રમેશ સાગઠિયા (જૂનાગઢ. મો.નં.99795-98442)
(લે. ડો.નાથાલાલ ગોહિલ. પ્રકાશન-નવભારત સાહિત્ય મંદિર-અમદાવાદ. પૃ.200 કિંમત. રુ.160.                            પ્રથમ આવૃત્તિ-2013.)
          પ્રસ્તુત પુસ્તકમાં પ્રારંભે સવાચાર પાનામાં લેખકનું પૂર્વકથન પદદલિત સમાજનું ઉત્તરદાયિત્વ રુપે મળે છે. મુખ્ય બે ખંડમાં પ્રથમમાં કુલ 9 (નવ) જેટલાં લેખોમાં મુખ્ય શીર્ષક ઉપેક્ષિતોની કથ-વ્યથા અને સૌંદર્ય જોવા મળે છે; જ્યારે બીજા ખંડમાં કુલ 9 (નવ) જેટલાં લેખોમાં એનું મુખ્ય શીર્ષક દલિત સહિત્યકૃત્તિઓ-આસ્વાદનાં રુપે મળે છે. ગ્રંથને અંતે લેખકનાં પોતાનાં 29 પુસ્તકોની શબ્દસંપદાનું સાહિત્યિક સૂચિકરણ આપણને મળે છે. અર્થાત અહીંના બંન્ને ખંડમાં કુલ 9+9=18 જેટલાં લેખો સંગ્રહિત થયેલાં છે. અહીંના મોટાભાગનાં લેખો તેઓશ્રીનાં કોઇને કોઇ સેમિનાર-પરિસંવાદ કે વિશેષ પ્રસંગે વકતવ્ય રુપેનાં છે. જે નોંધવા જેવી બાબત છે.
        પ્રથમ ખંડમાં દલિત લોકસંપદા પ્રથમ લેખમાં આઠ સંદર્ભગ્રંથોની સહાય સાથે પોતાનાં લેખને વધુ તીવ્ર અને તિક્ષ્ણ બનાવે છે. આર્ય-અનાર્ય, તથાગત બુધ્ધ, મેઘમાયા, મેઘડો ઋખી, ઓરસિયો મેઘવાળ, કાળિયો ઝાંપડો અને અન્ય દલિત વિભૂતિઓની વર્ણનાત્મક શૈલીમાં વાત કહી છે. બીજા લેખ દલિત સંતસંપદામાં મહાપંથ, રામાપીરનો પંથ, નાથપંથ, કબીર સંપ્રદાય, રવિભાણ સંપ્રદાય, નિરાંત, બારમતી સંપ્રદાયની સંતવાણીનાં સંદર્ભ સાથે ચર્ચા-વિચારણા કરી છે, ત્રીજા લેખ ભારતીય નારી: કથા-વ્યથા વિમર્શનમાં બુધ્ધથી મહાપંથ, ડો.આંબેડકરથી લઇને આજપર્યંત દલિત સાહિત્યમાં નારી પ્રત્યેની દલિત સમાજની ઉદાર અને ઉદ્દાત મનોભાવનાને આલેખી આપી છે, ચોથા લેખમાં ગાંધીજી અને ઉપેક્ષિતોમાં 27 જેટલાં સંદર્ભો દ્વારાં વર્ણવ્યવસ્થા-ગાંધીજી-ડો.આંબેડકર-અસ્પૃશ્યતા-પૂના કરાર વગેરે વિશે વિશદ ક્ષણાવટ સાથે ચર્ચા કરી છે.
        પાંચમા લેખ મેઘવાળ:દલિતોનાં મૂળ અને કુળમાં ડો.નાથાલાલે સામાજિક જાગૃતિ અને એમાં શિક્ષણનું મહત્વ સમજાવ્યું છે. છઠ્ઠા લેખ રાજકોટ જિલ્લાનાં પદદલિત સંતકવિઓ વિશે વિગતે ચર્ચા કરી છે. એમાં દાસી જીવણસાહેબ, દાસ વાઘો, હીરસાગર અને ઉગારામનાં જીવન-કવન-દર્શનને ટૂંકમાં ચર્ચા કરી છે. સાતમા લેખમાં ગુજરાતની આદિ કવયિત્રી કોણ? નરસિંહ મહેતાનાં ગુરુ સમાન અને સમકાલીન રતનીબાઇને ગણાવી, એનાં પૂરાવા સાથે લેખકે પ્રયત્ન કર્યો છે. તેમાં રતનીબાઇનાં પાંચ ભજનોને આધાર બનાવી, સાથે અન્ય પુરાવાને ઉમેરીને પ્રમાણિત કરી આપ્યું છે કે ગુજરાતની પ્રથમ કવયિત્રી તો રતનીબાઇ મેઘવાળ જ છે. આઠમા લેખ મીરાંનાં ગુરુ કોણ? લેખક એ પ્રશ્નોપનિષદ સંત રોહિદાસનાં રુપે ઉતરોપનિષદ આપે છે. અનેક કાવ્યપંક્તિઓનો આધાર બનાવી પૂર્વગ્રહિત માનસિકતાની સામે સશક્ત અને સબળ પુરાવા સાથે કહે છે : મીરાંનાં ગુરુ સંત રૈદાસ જ છે. દલિત ગુરુ ? આ રાજસત્તા સામેનો નારીચેતનાનો નરવો પણ ગરવો, બળૂકો ને બળવા સમો અવાજ-મિજાજ મીરાંનો રહ્યો છે. અન્યાય સંત રોહિદાસને થયો છે. પ્રથમ ખંડનાં અંતિમ લેખ મહેશ્વરી બારમતી જ્યોતપાટ ઉપાસનામાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચાલતી બારમતી સંપ્રદાયની લાક્ષણિકતાઓ અને એનું વૈચારિક સત્વ અને સૌંદર્યને વિગતે ને વિસ્તારથી લેખકે ચર્ચ્યું છે.
        ખંડ-2દલિત સાહિત્યકૃતિઓ : આસ્વાદમાં પણ કુલ 9 (નવ) જેટલાં લેખ જોવા મળે છે. પ્રથમ લેખ દલિત આંતરસંપદાનું પ્રતીક ભવાનભગત છે. એમાં જોસેફ મેકવાનની આંગળિયાત નવલનું ઉજળું અને ઉદાત પાત્ર ભવાનભગતની આંતરસંપદાને લેખકે વર્ણવી, ભારતીયતા સંદર્ભે એની લાક્ષણિકતાઓ નોંધી બતાવી છે, બીજા લેખ રંગ જીવનમાં:રેખાચિત્રોમાં પૂરનારા જોસેફ મેકવાનમાં જોસેફ મેકવાનનાં આઠ રેખાચિત્રસંગ્રહ વ્યથાનાં વીતક, વહાલનાં વલખાં, મારી ભિલ્લુ, જનમજલાં, જીવતરનાં નાટારંગ, માણસ હોવાની યંત્રણા, ન યે ચાંદ હોગા અને રામનાં રખોપાં રુપે અધ્યાપકિય લેખ છે. ત્રીજા લેખ અમર બલિદાનની વીરગાથામાં ચારુલકુમાર ચૌહાણનાં વીરમાયા અમર ચરિત્રની ગ્રંથસમીક્ષા છે, ચોથા લેખ હાચ્ચે હાચ્ચુ બોલનઅ ફાડ્યા? શંકર પેંટરનાં કાવ્યસંગ્રહમાંથી નિતરતી દલિત સંવેદનાને ચર્ચી છે.
        પાંચમા લેખ સત રે બોલો નહીંતર મત બોલોમાં દલિત કવિ કાંતિલાલ ડાહ્યાભાઇ મકવાણાનાં કાવ્યસંગ્રહની લાક્ષણિકતાઓને લેખકે ગણાવી, એમાં દલિતસંપદાની ઝાંખી કરાવી આપી છે. છઠ્ઠો લેખ હું હણાયો છું શીર્ષક હેઠળ પૂનમચંદ પરમારનાં ત્રીજા કાવ્યસંગ્રહ સમણાને સથવારેની ગ્રંથસમીક્ષા છે. તો સોળમાં લેખ આ દેશ શું મારો નથી ?માં પૂનમચંદ પરમારનાં વાસંતી વાયરા વાજો એ કાવ્યસંગ્રહની સમીક્ષા છે. આ બંન્ને કાવ્યસંગ્રહોમાં પણ લેખકનો મૂળત: આશય તો દલિત આંતરસંપદાને ઉજાગર કરતી ગુણસંપદાનો મહિમા અને કાવ્યસંગ્રહનાં સામગ્રી-શિલ્પ-શૈલી-સંદેશને નિર્દેશવાનો રહ્યો છે.
        સતરમો લેખ દલિત ભોગ્યાની કથા-વ્યથામાં દલિત કવિ વિનોદ ગાંધીની શ્રેષ્ઠ દલિતકવિતા તરીકેની પસંદગી નિમિત્તેનાં નિર્ણાયક તરીકેનો નિમંત્રિત લેખ છે. આ પુસ્તકનો બીજા ખંડનો અંતિમ આઠમો લેખ નિજ ઘરનું સરનામું શોધવાની મથામણ: એકરુપ (હરજીવન દાફડાનો કાવ્યસંગ્રહ)ની ગ્રંથસમીક્ષા છે. એમાં પ્રગટતાં દલિતચેતનાનાં આગવા અને અનોખા મિજાજને ઓળખવાનો લેખકનો આશય રહ્યો છે.
         આમ, બે ખંડમાં કુલ અઢાર લેખસંચયનું ડો.નાથાલાલ ગોહિલનું પુસ્તક દલિત સંપદા:સાહિત્ય અને સૌંદર્ય એનાં શીર્ષકને અનુરુપ અને એ અવાજસૌંદર્યનું ભાવનપ્રિય બની રહે તેવું છે. કાળા સાથે સંમિશ્રિત અન્ય રંગદર્શી મુખપૃષ્ઠ સાથે તંબૂર અને શીર્ષકનું મુદ્રણ પીળાશભર્યુ સાંકેતિક અને લાક્ષણિક બને છે. પાછલા પુઠ્ઠા ઉપર લેખકની કેફિયત અને કૃતિગત સંક્ષિપ્ત નોંધ પુસ્તકનાં નર્મ-મર્મને ઉઘાડનારી બારી સમાન છે.
     પ્રારંભે રહી ગયેલી અને જુદા જુદા લેખોમાં રહી ગયેલાં મુદ્રણદોષને નિવારી શકાયા હોત, એ માત્ર આંગૂલીનિર્દેશ સાથે પ્રસ્તુત પુસ્તક ખરેખાત દલિતસાહિત્ય અને દલિતચેતનાનું નોંધપાત્ર ને નાજુકસંવેદનાને અભિવ્યક્ત કરતું પુસ્તક બની રહે છે. લેખકશ્રી ડો. નાથાલાલ ગોહિલને અભિનંદન સાથે  આવા અન્ય પુસ્તકો પણ આપતાં રહે એ આશા અને આસ્થા સાથે..
          પ્રો.ડો.રમેશ સાગઠિયા (જૂનાગઢ. મો.નં.99795-98442) રાજહંસ કૈલાશનગર-બ્લોક નંબર=10;                                  
          લક્ષ્મીનગર સોસાયટી પાસે; લોઢિયાવાડી પાછળ-જૂનાગઢ.  તા.15 ફેબ્રુઆરી 2014 (જન્મદિવસ)

                  વિશેષ....
      
     મનથી ફેરવો માળા રે, મેલી દીયો જગતનાં ચાળાં રે...મન0
અનેક જન્મ થયા અડવડતાં, ને કર્મ લાગ્યા કાળા રે;
જમ લઇ જાશે જીવને, ઓલ્યાં ટોપિયુંવાળાં રે..............મન0
ભલિયુવાળાં ભેટશે ને, ત્યાં નહીં પૂગે પાળા રે; 
માલ વાળ્યો ઓલ્યો મરજીવે, તીખી તરવાર્યુંવાળા રે...મન0
ઇંન્દ્ર સરખા ઉઠે ગયા ને, તેનાં કોઇ ટાળા રે;
ભોજોભગત કહે થિર ઠેરાવો, અધર ઉચાળાં રે..............મન0
     

    મનની મોટાયું મેલો રે, આ તો અવસર છે છેલ્લો રે....મનની0
      નહીં રહ્યાંનું નિશ્ચય કરી જાણજો, કુટુંબ કબીલો રે;
સિધ્ધ સાધક કંઇ ચાલ્યા ગયા, તેનો વાધ્યો નહીં વેલો રે....મનની0
દુ:ખથી ભોમ દેવતાએ મેલી, તમે સુખથી ઉપર ચાલો રે;
ઓછો વાસ નહીં ઉગરિયે, તમે ઠેકાણે ઠેલો રે..................મનની0
ધારણ ધરતી અખંડ વરતી, હરખ કરી હાલો રે;
ભોજોભગત કહે ગુરુપ્રતાપે, ખરી નીતિ સે ખેલો રે............મનની0


ભારતીય સંતવાણી અને દલિતસાહિત્યની ભેદરેખા સંદર્ભ


   ભારતીય સંતવાણી અને દલિતસાહિત્યની ભેદરેખા સંદર્ભ : થોડીક પાયાની સમજ.                      
                                                              પ્રો.ડો.રમેશ સાગઠિયા(જૂનાગઢ)
           ભારતીય સંતવાણી (લલિત સાહિત્ય ?) અને ભારતીય દલિતસાહિત્ય બંન્ને સાહિત્ય હોવા છતાંયે બંન્નેમાં મને લગભગ પંદરેક જેટલી ભેદરેખા કે ભિન્નતાનાં સંદર્ભ મને જોવા મળ્યાં છે, અત્રે હું મારા શોધપેપરનાં મુદાઓની મિતાક્ષરી ચર્ચા (એબસ્ટ્રેક) કરીશ.
(1) સામગ્રીભેદ બાબતે : આ બંન્નેમાં સામગ્રી બાબતે ભિન્નતા જોઇ શકાય છે, સંતવાણી ધર્મ, ભક્તિ, યોગ, ઉપદેશ, જ્ઞાન, મોક્ષ કે શાશ્વતીનાં સત્વ-તત્વ સંદર્ભબોધનું સાહિત્ય બને છે; જ્યારે દલિત સાહિત્યની સામગ્રી મળેલી સમસ્યાઓ, વિરોધ, વિદ્રોહ અને વિકલ્પની શોધનું સાહિત્ય બને છે. જો એ સામાજિકાદિ સમસ્યાઓ ઉકેલાય જાય તો એની પ્રાસંગિકતા ઓછી થઇ જાય. તેથી, સંતસાહિત્યની સામગ્રી અધ્યાત્મબોધની સાહિત્ય સામગ્રી રુપે બ્રહ્મ, આત્મા, જીવ, માયા આવે છે, જ્યારે દલિતસાહિત્ય નૈતિકમૂલ્યની સાથોસાથ સામાજિક મૂલ્યબોધની ભારપૂર્વક અપેક્ષા સેવે છે. તે સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાની અપેક્ષા રાખે છે.  
(2) પ્રયોજનભેદ બાબતે : બંન્નેમાં પ્રયોજનભેદ જોવા મળે છે. કાવ્યશાસ્ત્રનાં છ પ્રયોજનો પૈકી સંતવાણીનાં વ્યવહારજ્ઞાન, અનિષ્ટનું નિવારણ, કાંતાસંમિત ઉપદેશ અને અલૌકિક આનંદ છે; ભક્તિ આંદોલન રુપે જોઇ શકાય. જ્યારે દલિતસાહિત્ય છ પ્રયોજનો સાથે એક વૈચારિક આંદોલનની તરીકે જોઇ શકાય છે.
(3) શૈલીભેદ બાબતે : શૈલીવિજ્ઞાન બાબતે સંતવાણીની પ્રસ્તુતિ પઠન કે વાચન રુપેની નહીં; પરંતુ ગાયકીની છે. એનાં આગવા ઢાળ, રાગ, સમય સંદર્ભને જોઇ શકાય, પદ્યસ્વરુપ હોવાથી, કંઠસ્થ કે હસ્તપ્રત રુપે હોવાથી એની ગેયતા એને ટકાવી રાખે છે. જ્યારે દલિતસાહિત્ય નૂતન શૈલીવિજ્ઞાન સાથે અનુબંધ ધરાવે છે. લિખિત અને આજની ગ્રંથસ્થ રુપેની એની શૈલી જોવા મળે છે. વળી, તે પદ્ય, ગદ્ય અને મિશ્ર રુપે જોવા મળે છે.
(4) સંરચનાભેદ બાબતે : સંતવાણીનાં પદ્યપ્રધાનતાને કારણે ચાર મહત્વનાં લક્ષણો મળે છે. ધ્રુવપંક્તિ, ગેયતા, ગુરુમહિમા અને નામાચરણ. જ્યારે દલિતસાહિત્યમાં સ્વરુપ વૈવિધ્યતાને કારણે, સભાન સર્જન પ્રક્રિયાને કારણે સંરચનાકલાને જુદી રીતે જોઇ-જાણી-તપાસી શકાય તેમ છે. એનાં કથાસ્વરુપ, કાવ્યસ્વરુપ, આત્મકેન્દ્રી સ્વરુપ કે પ્રકિર્ણ દરેકની સંરચના તત્વને તપાસી શકાય..
(5) શબ્દચયન બાબતે : ભારતીય સંતવાણીનું શબ્દભંડોળ દેશ્યથી માંડીને સંસ્કૃત, તત્સમ, તદભવ, હિન્દી-વ્રજ મિશ્રિત મળી શકે છે, ઉપરાંત યોગસાધનાની પારિભાષિક શબ્દાવલિ જોવા મળે છે. જ્યારે દલિત સાહિત્યમાં પ્રાદેશિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય એવી અન્યભાષાઓને પણ સ્વીકારે છે. તેથી બંન્નેનું ભાષા, શબ્દસૌંદર્ય જુદી તપાસનો વિષય બની શકે છે.
(6) સાહિત્ય સ્વરુપભેદ બાબતે : ભારતીય સંતવાણીમાં સાખી, આરતી, પ્રસંગપદો, આરાધ, અવળવાણી, રવેણી, અરજ, પ્રભાતી, પ્રભાતિયા વગેરે જેવાં અનેક પ્રકારો મળે છે. સાથોસાથ ભજન રુપકમાં ચૂંદડી, પ્યાલો, કટારી, ચરખો, ઝાલરી, જંતરી, જંતર વગેરે મળે છે. જ્યારે દલિત સાહિત્યમાં નવલકથા, નવલિકા, નાટક, નિબંધ, રેખાચિત્રો, આત્મકથા, ગઝલ, ગીત, પ્રસંગકાવ્યો અને એવાં આધુનિક પદ્ય, ગદ્ય સાહિત્ય સ્વરુપો મળે છે. તેથી બંન્નેની તપાસ-સમીક્ષા-અભ્યાસનાં ક્ષેત્રો એ રીતે જુદા બની શકે છે.
(7) યુગબોધનાં સંદર્ભે : ભારતીય સંતવાણી યુગસંદર્ભ, સમયખંડની બાબતે મધ્યકાળને લક્ષે છે. તેથી એની લાક્ષણિકતાનો એ સંદર્ભે બને છે; જ્યારે દલિતસાહિત્ય આધુનિકતા અને આઝાદી બાદની જાગૃતિકાળની સાહિત્યિક ચળવળ છે. તેથી યુગબોધ અને સમકાલીન સ્થિતિ-પરિસ્થિતિ સંદર્ભે બંન્ને જુદા બની રહે છે.
(8) સાહિત્યહેતુભેદ બાબતે : હેતુ અર્થાત પ્રતિભા, નિપૂણતા અને અભ્યાસની બાબતે બંન્ને અલગ છતાંયે અમૂલ્ય છે. એક નિરક્ષરોની વાણી રુપે શબ્દસાધના કે આરાધના છે, જ્યારે બીજું સાક્ષરવર્યની સભાન અક્ષર-અર્થ સાધના છે. એક સહજસાધ્ય બીજું ઉત્પાદ્ય અને જાગૃત મનભાવન સર્જન બને છે.
(9) રસભાવન બાબતે : સંતવાણી બહુધા શાંત, અદભૂત, શૃંગાર, વીર અને કરુણરસની વિભાવના બને છે. સાથોસાથ રમણિયતા, રસ, રહસ્યવાદનું સર્જન બને છે. જ્યારે દલિતસાહિત્યને ભાષા, કલ્પન, કલ્પના, રંગદર્શીતા, સૌષ્ઠવવાદ, વાસ્તવવાદ, ઔચિત્ય, વક્રોક્તિ, ગુણ, રીતિ, વિવેચન, રસકલાદિ બાબતે ને નૂતન અભિગમથી ઓળખી,પામી શકાય છે.
(10) પ્રતિબધ્ધતા બાબતે : સંતવાણી દાસ-દાસી, ભક્ત, સંત, સતિ કે મંદમતિનું ઇશ્વર આરાધનાનું સર્જન કહી શકાય. એની સર્જકીય સભાનતા બહુ જ અલ્પ, પણ દલિતસાહિત્ય સભાન, સાક્ષર અને સર્જકલક્ષી ઉપસતું જોઇ જાણી શકાય છે. એકની સાંસ્કૃતિક પ્રતિબધ્ધતા સાથે તો બીજાની સામાજિક, આર્થીક, રાજકિય ને શૈક્ષણિક પ્રતિબધ્ધ્તા સંદર્ભે વિચારી શકાય. 
(11) સ્થળ-સંદર્ભ-સંદેશ બાબતે : સંતવાણી મધ્યકાળની અને નખશિખ ધર્મપ્રધાન છે. ચાર પુરુષાર્થની કામનાને સેવે છે, એ કરુણાભાવે સમજાવવાનો પ્રયત્ન કરે છે. જ્યારે દલિતસાહિત્ય ડો.બાબાસાહેબ આંબેડકરનાં સામાજિકાદિ માનુષી સમાન અધિકારને ઝંખતું કે પ્રચાર-પ્રસારનું સાહિત્ય છે, એમાં દલિતચેતના (દબાયેલા વર્ગ-વર્ણ-જાતિ-જ્ઞાતિનો અવાજ) છે. પ્રદેશથી માંડીને આંતરરાષ્ટ્રીય સ્તરે એમનું વૈશ્વિક વૈચારિક અને ભાવનાત્મક જોડાણ બને છે. અર્થાત જ્યાં, જે, જેવી રીતે ભેદભાવની રીતિ-નીતિઓ છે, તેની સામેનો પડકાર છે, પ્રશ્નો ઉઠાવવા અને પદકારો ઝિલીને એનાં કાયદાકિય પ્રત્યુત્તર શોધવાની મથામણ છે.
(12) સાહિત્યિકવાદ બાબતે : બંન્નેને પ્રાચ્યથી માંડીને અદ્યતન સાહિત્યિક વાદ-વિવાદ-સંવાદને કેન્દ્રીત બનીને તપાસી શકાય તેમ છે. પ્રતીકવાદથી માંડીને પ્રતિવાદ સુધીનાં ઉદાહરણો સાથે એની સમીક્ષા-ચર્ચાદિ થઇ શકે.
(13) પ્રત્યાયન બાબતે : બંન્નેનો ભાવક વ્યક્તિગત, સમૂહગત અને મિશ્ર રુપે જોઇ શકાય. બંન્નેમાં પોતીકી આગવી ભાવનક્ષમતા જરુરી. અભિદષ્ટિને અવગમન અપેક્ષા આવશ્યક બને છે. અવગમન નહીં તો સાહિત્ય નહીં એ સાહિત્યિક ભાવનપ્રિયતા બંન્નેને આગવી રીતે તપાસી કે જોઇ-જાણી શકાય તેમ છે.
(14) શીર્ષક ભેદ બાબતે : સંતવાણીની સામાજિક, સાંપ્રદાયિક, સાંસ્કૃતિક, સાહિત્યિક, ધાર્મિક, આધ્યાત્મિક, સાધનાત્મક જેવી અનેક સ્તરે વિચારણા થઇ શકે, સંતવાણી ગુલામીકાળનું (વિધર્મી અને વિદેશી) સાહિત્ય છે; ભજનનાં શીર્ષક બહુધા એનાં સંત-કવિઓએ આપ્યા હોતા નથી, પણ દલિત સાહિત્યની કોઇપણ કૃતિનાં શીર્ષક એક સ્વતંત્ર અભ્યાસ માગી લે તેવો મુદ્દો છે. વળી, દલિતસાહિત્ય સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પછીનું, ભારતવર્ષનાં બંધારણીય મૂળભૂત અધિકારો, સમાન હક્ક અને કાયદાઓ, સંવિધાન સંકલ્પના કાળનું (સ્વધર્મી અને સ્વદેશી કાળનું) સાહિત્ય બને છે. તેથી બંન્ને પ્રકારનાં સાહિત્યની શીર્ષક પસંદગીમાં પણ ભારે તફાવત જોઇ શકાય છે.   
સમાપન : અત: ભારતીય સંતસાહિત્યની અને ભારતીય દલિત સાહિત્યની આવી અનેક ભેદરેખાઓને સાંપ્રતકાળે સમીક્ષા કે અભ્યાસનાં મુદ્દાઓ બની શકે છે. વળી, બંનેનો ભાષાકિય, વ્યાકરણગત, સાહિત્યનાં સિધ્ધાંત, તુલનાત્મક અભ્યાસ જેવી વિધવિધ પણ નવી જ દિશાઓ પણ વિવેચનનાં નૂતન અભિગમ તરીકે સંપાદન અને સંશોધન શક્યતાઓ પણ પડેલી જોઇ શકાય છે.
નોંધ=( પ્રસ્તુત મારા આ શોધપેપરને અંતે સંબંધિત એવા સાતેક જેટલાં સંદર્ભગ્રંથોની સૂચિ મૂકી આપેલી છે.)

Friday, 16 March 2018

સાહિત્યનાં સિધ્ધાંતો-01


                         સાહિત્યનાં સિધ્ધાંતો=(પ્રો.ડો.રમેશ સાગઠિયા)
કલા અને એની વ્યાખ્યા=સૌંદર્યદષ્ટી અને આનંદાનુભૂતિ,કલા એટલે અનુકરણ ?, કલા એટલે વાસ્તવિકતાનું મનોગ્રાહ્ય સ્વરુપે થયેલું કલાત્મક નિરુપણ, કલાનું ઉદગમ સ્થાન માનવજીવન અને જગત  છે. કલા એટલે આનંદાનુભૂતિજન્ય કલ્પના અને વાસ્તવિકતાનું સંયોજન-મિશ્રણ હોય છે.                                               કલાનાં બે પ્રકારો=કલાનાં ઉદ્દેશને આધારે બે પ્રકારો છે- લલિતકલા(આનંદ માટે સર્જાય છે એવી કલા) અને લલિત્તેતરકલા(જે ઉપયોગમાં આવવા માટે જ સર્જાય છે એવી કલા) એમાં લલિતકલાનો ઉદેશ આનંદપ્રધાન અને લલિત્તેતરકલાનો ઉદ્દેશ ઉપયોગીતાવાદનો છે. લલિતકલાનાં પાંચ પ્રકારમાં સ્થાપત્ય, શિલ્પ, ચિત્ર, સંગીત અને સાહિત્ય એ લલિતકલા છે, જ્યારે; સુથારીકામ, લુહારીકામ, કડિયાકામ વગેરે લલિત્તેતરકલા છે.
લલિત અને લલિત્તેતર કલાની ભેદરેખા= લલિતકલામાં ચિતસ્પર્શી, કલ્પનાસભર, આનંદપ્રધાન, ઉર્મિપ્રધાન, સૌંદર્યપ્રધાન, મૂલ્યનિષ્ઠ અને ભાવનાત્મક કલા. જયારે લલિત્તેતર કલામાં વ્યવહારિકતા, ઉપયોગીતાવાદ, બુધ્ધિ અને તર્ક પ્રધાન, સત્ય અને વાસ્તવનું જગત, માહિતીપ્રદ અને ભૌતિકવાદી કલા છે.
લલિતકલા વિશે= એનાં મુખ્ય પાંચ પ્રકારો છે- સ્થાપત્ય(મંદિર, મહેલ, ઇમારત વગેરે), શિલ્પ(મૂર્તિઓ, ઝીણી કોતરણીઓ), ચિત્ર, (આ ત્રણેય કલાઓમાં ઉપાદાન ભૌતિક અને આંખની કે દશ્યકલા છે,) સંગીતકલા અને સાહિત્યએ સૂક્ષ્મ માધ્યમનો ઉપયોગ (શ્રાવ્ય કે કાનની કલા) કરે છે. હેગલ નામનાં વિદ્વાન કલાનાં ઉપાદાન, ગતિશીલતા, જીવંતતા, ભાવ નિરુપણ અને સર્જન ભાવનની વધુ શક્યતાઓને ધ્યાને લઇને ઉચ્ચાવચતાક્રમ મુજબ સ્થાપત્ય કલાને સૌથી નિમ્ન અને સાહિત્યકલાને સૌથી વધુ ઉંચી કલા ગણાવે છે.
સાહિત્યકલાની શ્રેષ્ઠતા =સાહિત્યકલા એ સૌથી શ્રેષ્ઠ છે કારણ કે એનું માધ્યમ કે ઉપાદાન સૌથી વધુ સુક્ષ્મ છે, વિવિધ અને વિપુલ વિષય સાથેનું કાર્યક્ષેત્ર, દશ્ય અને શ્રાવ્યકલા, વિશિષ્ટ ભાવન, સ્થળ અને કાળથી ઉપર, નિરુપણ રીતિમાં વૈશિષ્ટ્ય અને વિપુલતા ને વિવિધતા, શક્યતાઓ અને વધુ સંભાવનાઓ, સર્વજન સુલભ, આસ્વાદની ક્ષમતા, માંગલ્યની ભાવના, અલૌકિક આનંદની કલા અને આત્માની અમરકલા હોવાથી અન્ય લલિતકલાની તુલનામાં સાહિત્યકલા એ સર્વશ્રેષ્ઠ કલા છે.
છંદ અને અલંકારોની સ્થાન ને મહત્વ=એ કોઇપણ કાવ્યનું અંગ છે, નહીં કે સંપૂર્ણ. તેથી એ રસપોષક, સાહજિક અને એ કાવ્યમાં ઓગળી ગયેલાં, આગંતુક ના લાગે એવાં, સાધક હોવો જોઇએ, પણ બાધક નહીં, સૌદર્ય વધારનારો, રસભંગ ના કરે એવા, અર્થ સ્પષ્ટ કરવામાં મદદ કરનારા, આકર્ષક અને આસ્વાદ્યશીલ, કલા દષ્ટીને પોષક બને, પણ શોષક નહીં, સાહજિક પણ સાહિત્યિક, ઉપકારક ને ઉરસ્પર્શી, ભૂષણ રુપ જોઇએ, દૂષણ રુપ નહીં, ભાર કે બોજવાળા નહીં અને એનાં મુખ્ય ત્રણ પ્રકારો છે, (1) શબ્દ (2) અર્થ (3) મિશ્ર-એ રીતે એનું યોગ્ય માત્રામાં અને વિવેકપૂર્ણ રીતે સંયોજિત થયેલું હોવું જોઇએ.



સાહિત્યનાં મુખ્ય હેતુઓ=હેતુ અર્થાત મૂળ તરફ જોવું-એ અર્થમાં. સાહિત્યનાં શ્રેષ્ઠ સર્જક થવા માટે ત્રણ ગુણ જરુરી છે.-લાયકાત કે પાત્રતા હોવી જ જોઇએ. એ ના હોય તો સર્જક-કવિ ઝાંખો-નબળો-મર્યાદાવાળો કે ખામીજન્ય ગણાય, તેમાં (1)=પ્રતિભા(કૌશલ્ય કે ઇશ્વરદત્ત મળેલો સંસ્કાર કે ટેલેંટ કે વિશિષ્ટ શક્તિ.), (2)=નિપુર્ણતા (વ્યાકરણાદિનું કે શબ્દ અને અર્થનું જ્ઞાન-પારિભાષિક કે પ્રતિકાદિનાં શબ્દાર્થનું જ્ઞાન તે નિપુણતા) અને (3)= અભ્યાસ (સમય અને સ્થળ, સ્વરુપ અને શૈલીવિજ્ઞાન સાથેની નવી-નવી બાબતોથી સુસજ્જતા રહેવાની કે પ્રયોગશીલતા કે સાંપ્રત સાહિત્યિકવાદની જાણકારી એ એની લાયકાત ગણાય.)ની કુલ ત્રણ શરતો સાથે સર્જક બની શકાય.
સાહિત્યનાં પ્રયોજનો=પ્રયોજન અર્થાત ફળપ્રાપ્તિનાં અર્થ તરીકે જોવું. આ રીતે સાહિત્યનાં મુખ્ય 6 (છ) છે. યશપ્રાપ્તિ (કીર્તિની કમાણી કરાવે), અર્થપ્રાપ્તિ(પૈસાની કમાણી કે ધનપ્રાપ્તિ), વ્યવહારનું જ્ઞાન (ક્યાં-ક્યારે-કોની સાથે ક્યા પ્રકારે-સમયે કઇ રીતે વર્તવું તે શીખવાડે તે.), અનિષ્ટનું નિવારણ (આવનાર અમંગળ કે વિધ્નની પહેલાંથી જ અન્યનાં જીવનનાં અનુભવનો લાભ મેળવીને શીખી લેવાનું પ્રયોજન), કાંતાસંમિત ઉપદેશ (પ્રિયજન કે પ્રેયસીની સાથેનાં સંવાદ સાથે પ્રગટતો ઉપદેશ-પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે, પણ ભાર રુપ નહીં, પણ મિત્ર રુપે મળતો ઉપદેશ) અને અલૌકિક આનંદ(નિજાનંદ કે આત્માનંદ માટેનું શ્રેષ્ઠ પ્રયોજન).
સૌષ્ઠવવાદી(ક્લાસિક)અને કૌતુકવાદી(રોમેંટિક) વલણ= કોઇપણ સાહિત્યમાં સર્જકનાં મનનો સંસ્કાર કે માન્યતાઓ કે મનોવૃત્તિઓ કે મનોવલણ પડેલાં હોય છે, કોઇ પરંપરાવાદી તો કોઇ પ્રયોગશીલતાવાદી હોય છે. સૌષ્ઠવવાદી વલણમાં પરંપરાનું અનુકરણ, બોધલક્ષી, બિનઅંગત વિષયનું નિરુપણ, આકાર ઉપર ભાર, ભાષા પૌઢને પરિપકવ હોવા જોઇએ. જ્યારે, કૌતુકવાદી વલણમાં પરંપરાનો વિદ્રોહ, પ્રયોગશીલતાનું મહત્વ, કલ્પનાપ્રધાનતા, પલાયનવૃત્તિ, અદભૂત કે ચમત્કાર વિષયક, એનો સ્વીકાર, સૌંદર્યદર્શીતા, ઇન્દ્રિયગ્રાહ્યતા, વ્યક્તિવાદની ભાવના, નિર્વેદની પ્રધાનતા. આમ, આ બંન્ને સર્જકનાં મનોવલણો ઉપરાંત ત્રીજું વાસ્તવાદી મનોવલણ કે માત્ર હકીકતકેન્દ્રી માનસ સાથે પોતાનાં સાહિત્યનું સર્જન કરતો હોય છે.
આકૃતિ અને અત:સ્તત્વ વિશે= ઇ.સ.1907માં એજરા પાઉંડે સૂત્ર આપ્યું-સાહિત્યમાં આકૃતિ એ એનું પ્રાણતત્વ છે. માત્ર વસ્તુ કે સામગ્રીનો જ મહિમા નહીં, પણ એની સ્વરુપગત કે આકૃતિગત મહત્વને પણ સ્વીકરવું, મૂળે સોનું પણ એનાં અનેક પ્રકારનાં ઘરેણાં બને, નરસિંહ મહેતા કહે છે તેમ- ઘાટ ઘડિયા પછી નામ રુપ જૂજવા.. જુદાં-જુદાં ઘાટ કે સ્વરુપ કે આકૃતિનું મહત્વ છે. નવલિકા, નાટક, નવલકથા, સોનેટ, ગઝલ વગેરે સ્વરુપ કે પ્રકાર કે ઘાટ છે,એનું એ રીતે અલગ અને અનન્ય મહત્વ છે. આકૃતિ કલાત્મક જોઇએ, ભાવસુંદર્ય, કલાસૌંદર્ય, રસસુંદર્ય, ભાષા અને શબ્દસૌંદર્ય, છંદ-અલંકારસૌંદર્ય, કથનરીતિનું સૌંદર્ય અને સામગ્રીને અનુરુપ આકૃતિનું મહત્વ સર્જકે સ્વીકારવું જોઇએ. અર્થાત જેટલું મહત્વ અંત:સ્તત્વનું છે, એટલું જ મહત્વ આકૃતિનું પણ છે.  
વિવેચનની ઉપયોગીતા= કૃતિનાં ગુણ અને દોષ તપાસવાં, કૃતિનાં કલાતત્વની તપાસ કરવી, કૃતિનાં યુગધર્મને અભ્યાસવાં, કૃતિની શૈલી, શિલ્પ, સંરચના અને સંદેશને તપાસવાં, કૃતિનાં રસકેંન્દ્રો અને ભાવન બિંદુઓને આસ્વાદવા અને કલાત્મક ઉદ્દેશોની તપાસ કરવી.
વિવેચનની પધ્ધતિઓ=ઐતિહાસિક પધ્ધતિ, તુલનાત્મક પધ્ધતિ અને કૃતિનિષ્ઠ કે વ્યક્તિગત પધ્ધતિ.
વિવેચકની સજ્જતા=રસિકતા, કલાનો પૂજારી, ભાવને ભાષાકીય સમૃધ્ધ, પૂર્વગ્રહમુક્ત, વિદ્વાન, પ્રામાણિક અને નિષ્ઠાવાન, વાચનપ્રિય જીવ અને વિપુલ તેમ જ વૈવિધ્યતાપૂર્ણ વાચન, સ્વતંત્ર મિજાજનો, સમતાવાદી, તટસ્થ ને સહિષ્ણુ, નિર્ભય અને નિખાલસ, સાહિત્યનો સાધક હોવો જોઇએ.
વિવેચન શાસ્ત્ર છે કે કલા?= કલા સ્વતંત્ર હોય જ્યારે શાસ્ત્ર પરતંત્ર ને સિધ્ધાંત ઉપર આધારિત, કલા આનંદપ્રધાન જ્યારે શાસ્ત્ર માહિતી ને માર્ગદર્શક, કલા જીવંત અને ગતિશીલ તેમ જ રસિક જ્યારે શાસ્ત્ર ભારેખમ અને જડવાદી તેમ જ અગતિક, કલા ભાવનાત્મક કે લાગણીશીલ જ્યારે શાસ્ત્ર ભૌતિકવાદી અને વધુ બૌધિક કે તાર્કિક, કલા પ્રતિભાકેન્દ્રી જ્યારે શાસ્ત્ર પરોક્ષીવૃતિથી સભર, કલા એ સર્જનાત્મક ઉદેશથી, જ્યારે શાસ્ત્ર એ મુખ્યને માત્ર સમીક્ષાલક્ષી ચર્ચા-મીમાંસા કરે છે.
રીતિ= સાહિત્યમાં એની અભિવ્યક્તિની જુદી જુદી રીત હોય છે, તેનાં મુખ્ય ત્રણ પ્રકારો છે. તેમાં વૈદર્ભી(સીતા જેવી શાંત, સહનશીલ,ઠંડી અને સૌમ્ય ભાષા અને ભાવાભિવ્યક્તિ તે વૈદર્ભી રીતિ છે. તો ગૌડી (ગૌડપ્રદેશનાં જેવી મધ્યમગુણ-લક્ષણો ધરાવતી તે ગૌડી કે ગોડી રીતિ ગણાય. અને પાંચાલી(દ્વૌપદી જેવી) તીખી-તિક્ષ્ણ, મર્મભેદી અને મારકણી, આક્રોશી અને આવેગવાળી કાવ્યની રીતિ તે દ્વૌપદી રીતિ ગણાય.           ગુણ= માધુર્ય (કાવ્યમાં આવતો માધુર્યપણાનાં ભાવ-ભાષાનાં ગુણને માધુર્ય કહેવાય), ઓજસ (જે કાવ્યમાં તેજસ્વીપણું કે અજવાશ જેવું કે પ્રકાશમાન ભભકભર્યા ગુણનું આલેખન હોય તેને કાવ્યનો ઓજસ ગુણ કહેવાય) અને પ્રાસાદિક(મહેલ કે સાત્વિક-પવિત્રપણાનાં ભાવ-ભાષાનાં ગુણલક્ષી કાવ્યને પ્રાસદિક ગુણ કહેવાય).
ધ્વનિ= વસ્તુધ્વનિ (કાવ્ય દ્વારા કહેવાનો કે કહેવાયેલો અર્થ-ભાવ-સાર કે હેતુ કોઇ વસ્તુનાં માધ્યમથી કહેવાય ત્યારે તે વસ્તુધ્વનિ બને છે.), અલંકારધ્વનિ (જ્યારે કાવ્યનો કહેવાનો કે કહેવાયેલો અર્થ-ભાવ-સાર કે હેતુ કોઇ અલંકારને માધ્યમ બનાવીને કહેવાય ત્યારે એને અલંકાર ધ્વનિ કહેવાય છે.) અને રસધ્વનિ (જ્યારે કોઇપણ કાવ્યમાં કહેવાનો કે કહેવાયેલો અર્થ-સાર-હેતુ કે ઉદ્દેશ-ધ્વનિને રસનાં માધ્યમ રુપે પ્રગટ કરવામાં આવેલો હોય ત્યારે એને રસધ્વનિ કહેવાય છે).
વક્રોક્તિ= જ્યારે કોઇપણ કાવ્યાદિમાં વક્ર ઉક્તિ કે પંક્તિ આવે, જ્યારે સીધી રીતે નહીં; પણ વાંકી રીતે કે વક્રતાયુક્ત કહેવાય ત્યારે તે વક્રોક્તિ કહેવાય છે. તેનાં મુખ્ય છ પ્રકાર છે. પદપરાર્ધ, (પદનાં પાછળનાં ભાગથી વક્રતા કે અર્થ પ્રગટે ત્યારે.) પદપૂર્વાર્ધ (પદનાં પૂર્વભાગથી વક્ર અર્થ પ્રગટે ત્યારે) વર્ણવક્રતા (કાવ્યમાનાં વર્ણ દ્વારા વક્રતા જન્મે ત્યારે), વાક્યવક્રતા, પ્રકરણવક્રતા અને પ્રબંધવક્રતા.
લલિતસાહિત્ય અને લલિત્તેતર સાહિત્ય વિશે= લલિતસાહિત્ય સર્જનાત્મક જ્યારે લલિત્તેતર સાહિત્યમાં શાસ્ત્રીય અને વૈજ્ઞાનિક અભિગમ, લલિતસાહિત્ય ભાવનાપ્રધાન અને લલિત્તેતર સાહિત્ય માહિતીપ્રદ, લલિત સાહિત્ય આનંદપ્રધાન જ્યારે લલિત્તેતર સાહિત્યમાં ઉપયોગીતાવાદ, લલિતસાહિત્યમાં ભાવ-ભાષાની વ્યંજના જ્યારે લલિત્તેતર સાહિત્યમાં વ્યવહારની ભાષાશૈલી, લલિતસાહિત્યમાં ચૈતસિક વાત જ્યારે લલિત્તેતર સાહિત્યમાં બૌધિક અને તાર્કિકતા વધુ, લલિતસાહિત્યમાં ચમત્કારપ્રધાન જ્યારે લલિત્તેતર સાહિત્યમાં વધુ ચોક્કસાઇ અને સૈધ્ધાંતિક વાત હોય છે. દા.ત. લલિતસાહિત્ય એટલે કવિતા, નવલિકા, નવલક્થા વગેરે, જ્યારે લલિત્તેતરસાહિત્ય એટલે દૈનિકપત્રો, ઇતિહાસલેખો તેમજ વિવેચન જેવું માહિતીકેન્દ્રી સાહિત્ય.
વિવેચનનું કાર્યક્ષેત્ર=કોઇપણ સાહિત્યમાં સર્જકનો પોતાનો વિષય-વિચાર-માન્યતા રજૂ થયેલ હોય છે, તેમાં સર્જકનાં ધ્યેયનું દર્શન, કૃતિનાં રહસ્ય કે ગૂંચનું નિરાકરણ, આનંદાનુભૂતિનું દર્શન, સામાજિક જવાબદારી -ઓનું  કર્તવ્ય નિભાવવું, માનવમૂલ્યોનું જતન અને સંવર્ધન, વિકૃત સાહિત્યનો બહિષ્કાર, સંવાદ અને સમંવયનો સેતુ રચવો, સર્જનની અને સર્જકની કલાદષ્ટી અને ભાવદષ્ટીનો આસ્વાદ અને માર્ગદર્શન આપવાનું છે..કોઇ કલા માટે જ કલાનાં તો કોઇ જીવન માટે કલાનાં સૂત્રને સ્વીકારીને સાહિત્યને સર્જતો હોય છે. વિવેચક કલા ખાતર કલાનાં સૂત્રને સ્વીકારી કૃતિનાં વિષય-વિચાર-સ્વરુપ-શૈલી-સંવિધાન-શબ્દ- અર્થ-છંદ-અલંકાર-સમાજસંદર્ભ-સામગ્રી-જીવનસંદેશ-શીર્ષક-વિશેષતાઓ અને ખામીઓની ચર્ચા કરે છે.
વિવેચનનું મહત્વ કે અનિવાર્યતા= કૃતિનાં ગુણ અને દોષને તપાસવા, ખામીઓ અને મર્યાદાઓને તપાસવાં, સંદર્ભોની સહ-ચર્ચા ચર્વણા કરવી, સર્જક અને સર્જનને સહાયક બનવું, આસ્વાદને ઉપકારક બનવું અને વૈચારિક ધારાઓનું વિચાર-વિશ્લેષણ કરવું.
શબ્દશક્તિ= કોઇપણ શબ્દમાં રહેલી અર્થ વિસ્તાર કે અર્થ સંકોચનની શક્યતા કે શક્તિને શબ્દશક્તિ કહે છે. શબ્દશક્તિ ત્રણ શરતો સાથે જન્મે છે. આકાંક્ષા, યોગ્યતા અને સંનિધિ દ્વારાં, શબ્દશક્તિનાં મુખ્ય ત્રણ પ્રકારો છે; અભિધા, વ્યંજના અને લક્ષણા. અભિધામાં સાદગી હોય છે.(યોગ, રુઢિ અને યોગરુઢિની ત્રણ રીતિઓ દ્વારાં એ જન્મે છે.) જેમાં વ્યંગ કે વક્રોક્તિ સાથે હોય તે વ્યંજના શબ્દશક્તિ છે. એનાં મુખ્ય બે પ્રકારો છે, શાબ્દી વ્યંજના અને આર્થી વ્યંજના. (શાબ્દીનાં અભિધા અને લક્ષણા સાથે કુલ 14 સાધનો દ્વારાં એ જન્મે; જ્યારે આર્થી વ્યંજનાનાં કુલ 9 સાધનો દ્વારાં એ જન્મે છે.) લક્ષણા એ મહત્વની શબ્દશક્તિ છે ઘણાં તેને આરોપિતક્રિયા પણ કહે છે. ત્રણ સંજોગોમાં એ જન્મે છે. જ્યારે મુખ્ય અર્થનો બાધ થાય ત્યારે, જ્યારે તદયોગ સધાય ત્યારે અને રુઢિ કે પ્રયોજન દ્વારાં એ જન્મે છે. એનાં મુખ્ય બે પ્રકારો છે-શુધ્ધા લક્ષણા               (તેનાં ચાર પ્રકારો. ઉપાદાનલક્ષણા, લક્ષણલક્ષણા, સારોપાલક્ષણા અને સાધ્યવસાનાલક્ષણા છે.) જ્યારે ગૌણીલક્ષણાનાં મુખ્ય બે પ્રકારો છે.(સારોપા ગૌણીલક્ષણા અને સાધ્યવસાના ગૌણીલક્ષણા.)
કાવ્ય એટલે શું?= શબ્દાર્થૌ સહિતૌ કાવ્યમ-અર્થાત  શબ્દ અને અર્થ સાથેનું તે કાવ્ય../ કવિતા એટલે કલ્પના અને ભાવાવેશોની ભાષા-હેઝલિટ/કાવ્ય એટલે સંગીતમય વિચાર-કાર્લાઇલ/કાવ્ય એટલે વાસ્તવમાં સંગીતમય વિચાર-કાર્લાઇલ/કવિતા એટલે શાંતિ અને સ્વાસ્થ્યતાનાં સમયમાં યાદ કરેલાં પૂર્વ ભાવાવેગો- વર્ડઝવર્થ/ કાવ્ય એટલે પ્રબળ લાગણીઓનો સહજ ઉભરો-વર્ડઝવર્થ/કાવ્ય એટલે મનુષ્યનાં સર્વોત્તમ જ્ઞાનનો અર્ક કે આવિષ્કાર-વર્ડઝવર્થ/કાવ્ય એટલે જીવનની સમીક્ષા-મેથ્યુ આર્નોલ્ડ/કાવ્ય એટલે રંગીન કલ્પનાની પૂર્વભૂમિકામાં જિંદગીને લયબધ્ધ રીતે વ્યક્ત કરવાની આગવી રીતિ-ટાગોર/કવિતા એટલે આત્માની કલા-આનંદશંકર ધ્રુવ..
સાહિત્ય અને સમાજ=પુરાણો સબંધ છે-બેંન્નેનો નાતો અવિભિન્ન છે-સામગ્રી તો સમાજની જ છે ને?-રજૂઆતની શૈલી પોતીકી છે-પોતિકો ઉમેરે છે-સાહિત્યકાર સમાજનું મુખ, મસ્તક અને હદય છે.-સમાજની ગમા-અણગમાની કે રાગ-દ્વૈષની કે હર્ષ-શોકની કે સારા-માઠા બનાવોની અભિવ્યક્તિ કરી આપે છે. એને સામાજિક-રાજકિય-સાંસ્કૃતિક-ધાર્મિક-શૈક્ષણિક-નૈતિક-બૌધિક વગેરે જેવાં તમામ સબંધો-સંદર્ભોની ચિંતા અને ચિંતનશીલતાની ગતિ-પ્રગતિ કે અધોગતિની આધારશીલાને કે કેન્દ્રવર્તી ભાવને આલેખી આપે છે સાહિત્યકાર- હતાશામાંથી બહાર કાઢી આપે છે સાહિત્યકાર-આશા, આસ્થા, આશ્વાસન, અપેક્ષા, આનંદ, આત્મિયતા અને શાંતિ-ક્રાંતિનાં મનોબીજારોપણ કરી આપે છે સર્જક, સમાજને ઘડવામાં, એનાં સ્પષ્ટ, સ્વચ્છ અને સ્વસ્થ માનસને બનાવવામાં કે ઘડી આપવામાં બહુ મોટો ફાળો છે સહિત્યકારનો. સર્જકની શબ્દસાધના ત્રણ કક્ષા હોય છે. ઉત્તમ, મધ્યમ અને નિમ્ન. સર્જકને ભૂતકાળ-ભવિષ્યકાળ અને વર્તમાનનાં ત્રણેય કાળ સાથેનો એમનો સબંધ રહેતો હોય છે..
કવિ=કવિ એટલે ભાષાનાં પ્રેમમાં પડેલો માણસ, જે ભાષા ઇશ્વરની માનવને મળેલી અદભૂત ભેટ છે.-ડબલ્યુ એચ.ઓડન.//જેમ માળી ગુલાબ ઉપર અત્તર છાંટતો નથી, તેમ સાચો કવિ કવિતાસર્જનમાં બનાવટી પ્રયત્ન કે મથામણ કરતો નથી-ઝાં કિકાકો.//મહાન કવિ થતાં પહેલાં એમણે બાળક બનવું પડે છે, સહજતા રુપે, સહદ્યતા રુપે અને વિસ્મય કે જિજ્ઞાસાવાળું-થોમસ મેકોલ//કવિ એ બુલબુલ પંખીની જેમ એકાંતમાં છુપાઇને પોતાની પ્રફુલ્લતાને પ્રેમાદર સાથે મધુર સ્વરે ગાઇ છે-કવિ શેલી//કવિ એટલે ઇશ્વરનાં ઘરનાં સૌંદર્યનો સંદેશ વાહક-ઇ.બી.બ્રાઉનિંગ//કવિ એટલે માનવ જાતનો પહેલો ગુરુ-હોરેસ//કવિનાં બે પ્રકાર, એક જે બને છે, જેને આદર આપીએ છીએ, ને બીજા ઇશ્વરીકૃપાથી બનીને મળે છે, જેને આપણે ચાહીએ છીએ-એમરસન//જો મોટાઓ જોતાં હોય તો મોટા શ્રોતાઓ તૈયાર કરો-વોલ્ટ વ્હિટમેન//વિચારને વિશિષ્ટ અને આગવા અભિગમ સાથે પ્રગટ કરી દે તે કવિ, જેમાં દષ્ટા અને સૃષ્ટા બંન્નેનું સંયોજન હોય છે-એલેઝાબેથ ચાર્લ્સ//કવિતા એ તો મનુષ્યજાતિની માતૃભાષા છે-જહોન જ્યોર્જ હમન//કવિતાને મનોરંજક બનાવવી કે મનુષ્ય જીવનની પ્રાણ રુપ ચેતના તે એનાં (કવિનાં) હાથમાં છે-જોન મેઇઝ ફિલ્ડ//કવિતા એટલે સંગીતમય વિચાર-કાર્લાઇલ//કવિતા એટલે સુખીમાં સુખી અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ થવાનો ઉત્તમ દસ્તાવેજ-કવિ શેલી//કવિતા એ તો સર્વકલાની મહારાણી છે.-રોબર્ટ ફ્રોસ્ટ//સદગુણોની શાશ્વતીનો શાબ્દિક સંદેશ એટલે કવિતા-શરદચંદ્ર//કવિતા એટલે સત્યમ, શિવમ અને સૌંદર્યનો આગવો જીવનબોધ-શ્રી અરવિંદ//કાવ્ય એ તો માનવજાતિનો મહાયજ્ઞ છે-ટાગોર//કવિતા બોલતું ચિત્ર છે, ને ચિત્ર એ મુંગી કવિતા છે-સિમોનિદેશ//કવિતા એટલે હાડમાંસમાં લાગણીઓને પૂરવાનું કામ કરતો પ્રજ્ઞાપુરુષ-પૉલ એંગલ//કોઇપણ દેશ કે સંસ્કૃતિનાં ઇતિહાસને જાણવા એનું સાહિત્ય વાંચવાની ગરજ ઉભી કરે તે સાચું સાહિત્ય-દર્શક//સાહિત્ય એટલે માનવસમાજની ભવ્યતા, રમ્યતા અને દિવ્યતાનો આછેરો આલેખ-લિન યુટાંગ//સાહિત્યમાં સામાજિક પ્રતિબધ્ધતા એનું આત્માતત્વ કે ઋત છે, વિત્ત છે, સત્તત્વ છે-જોસેફ મેકવાન...           

લોકસાહિત્ય વિષયક વૈકલ્પિક પ્રશ્નાવલિ (પ્રો.રમેશ સાગઠિયા)

 લોકસાહિત્ય વિષયક વૈકલ્પિક પ્રશ્નાવલિ (પ્રો.રમેશ સાગઠિયા) - https://drive.google.com/file/d/12cpoTqs-pRhkmNHwkyk4GVps5pMSp52B/view?usp=shari...