‘દલિત સંપદા:સાહિત્ય અને સૌંદર્ય’ = ગ્રંથાવલોકન.
પ્રો.ડો.રમેશ સાગઠિયા (જૂનાગઢ. મો.નં.99795-98442)
(લે. ડો.નાથાલાલ ગોહિલ. પ્રકાશન-નવભારત સાહિત્ય મંદિર-અમદાવાદ.
પૃ.200 કિંમત. રુ.160. પ્રથમ આવૃત્તિ-2013.)
પ્રસ્તુત પુસ્તકમાં પ્રારંભે સવાચાર પાનામાં લેખકનું પૂર્વકથન ‘પદદલિત સમાજનું ઉત્તરદાયિત્વ’ રુપે મળે છે. મુખ્ય બે
ખંડમાં પ્રથમમાં કુલ 9 (નવ) જેટલાં લેખોમાં મુખ્ય શીર્ષક ‘ઉપેક્ષિતોની કથ-વ્યથા અને
સૌંદર્ય’
જોવા મળે છે; જ્યારે બીજા ખંડમાં કુલ 9 (નવ) જેટલાં લેખોમાં એનું મુખ્ય શીર્ષક ‘દલિત સહિત્યકૃત્તિઓ-આસ્વાદ’નાં રુપે મળે છે. ગ્રંથને
અંતે લેખકનાં પોતાનાં 29 પુસ્તકોની શબ્દસંપદાનું સાહિત્યિક સૂચિકરણ આપણને મળે છે.
અર્થાત અહીંના બંન્ને ખંડમાં કુલ 9+9=18 જેટલાં લેખો સંગ્રહિત થયેલાં છે. અહીંના
મોટાભાગનાં લેખો તેઓશ્રીનાં કોઇને કોઇ સેમિનાર-પરિસંવાદ કે વિશેષ પ્રસંગે વકતવ્ય
રુપેનાં છે. જે નોંધવા જેવી બાબત છે.
પ્રથમ ખંડમાં ‘દલિત લોકસંપદા’ પ્રથમ લેખમાં આઠ
સંદર્ભગ્રંથોની સહાય સાથે પોતાનાં લેખને વધુ તીવ્ર અને તિક્ષ્ણ બનાવે છે.
આર્ય-અનાર્ય, તથાગત બુધ્ધ, મેઘમાયા, મેઘડો ઋખી, ઓરસિયો મેઘવાળ, કાળિયો ઝાંપડો અને
અન્ય દલિત વિભૂતિઓની વર્ણનાત્મક શૈલીમાં વાત કહી છે. બીજા લેખ ‘દલિત સંતસંપદા’માં મહાપંથ, રામાપીરનો પંથ,
નાથપંથ, કબીર સંપ્રદાય, રવિભાણ સંપ્રદાય, નિરાંત, બારમતી સંપ્રદાયની સંતવાણીનાં
સંદર્ભ સાથે ચર્ચા-વિચારણા કરી છે, ત્રીજા લેખ ‘ભારતીય નારી: કથા-વ્યથા વિમર્શન’માં બુધ્ધથી મહાપંથ, ડો.આંબેડકરથી લઇને આજપર્યંત દલિત સાહિત્યમાં નારી
પ્રત્યેની દલિત સમાજની ઉદાર અને ઉદ્દાત મનોભાવનાને આલેખી આપી છે, ચોથા લેખમાં ‘ગાંધીજી અને ઉપેક્ષિતો’માં 27 જેટલાં સંદર્ભો
દ્વારાં વર્ણવ્યવસ્થા-ગાંધીજી-ડો.આંબેડકર-અસ્પૃશ્યતા-પૂના કરાર વગેરે વિશે વિશદ
ક્ષણાવટ સાથે ચર્ચા કરી છે.
પાંચમા લેખ ‘મેઘવાળ:દલિતોનાં મૂળ અને કુળ’માં ડો.નાથાલાલે સામાજિક જાગૃતિ અને એમાં શિક્ષણનું મહત્વ સમજાવ્યું
છે. છઠ્ઠા લેખ ‘રાજકોટ
જિલ્લાનાં પદદલિત સંતકવિઓ’ વિશે વિગતે ચર્ચા કરી છે. એમાં દાસી જીવણસાહેબ, દાસ વાઘો, હીરસાગર અને
ઉગારામનાં જીવન-કવન-દર્શનને ટૂંકમાં ચર્ચા કરી છે. સાતમા લેખમાં ‘ગુજરાતની આદિ કવયિત્રી કોણ?’ નરસિંહ મહેતાનાં ગુરુ સમાન
અને સમકાલીન રતનીબાઇને ગણાવી, એનાં પૂરાવા સાથે લેખકે પ્રયત્ન કર્યો છે. તેમાં
રતનીબાઇનાં પાંચ ભજનોને આધાર બનાવી, સાથે અન્ય પુરાવાને ઉમેરીને પ્રમાણિત કરી
આપ્યું છે કે ગુજરાતની પ્રથમ કવયિત્રી તો રતનીબાઇ મેઘવાળ જ છે. આઠમા લેખ ‘મીરાંનાં ગુરુ કોણ?’ લેખક એ પ્રશ્નોપનિષદ ‘સંત રોહિદાસ’નાં રુપે ઉતરોપનિષદ આપે છે. અનેક
કાવ્યપંક્તિઓનો આધાર બનાવી પૂર્વગ્રહિત માનસિકતાની સામે સશક્ત અને સબળ પુરાવા સાથે
કહે છે : મીરાંનાં ગુરુ સંત રૈદાસ જ છે. દલિત ગુરુ ? આ રાજસત્તા સામેનો
નારીચેતનાનો નરવો પણ ગરવો, બળૂકો ને બળવા સમો અવાજ-મિજાજ મીરાંનો રહ્યો છે. અન્યાય
સંત રોહિદાસને થયો છે. પ્રથમ ખંડનાં અંતિમ લેખ ‘મહેશ્વરી બારમતી જ્યોતપાટ ઉપાસના’માં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચાલતી બારમતી સંપ્રદાયની લાક્ષણિકતાઓ અને
એનું વૈચારિક સત્વ અને સૌંદર્યને વિગતે ને વિસ્તારથી લેખકે ચર્ચ્યું છે.
ખંડ-2’દલિત સાહિત્યકૃતિઓ : આસ્વાદ’માં પણ કુલ 9 (નવ) જેટલાં
લેખ જોવા મળે છે. પ્રથમ લેખ ‘દલિત આંતરસંપદાનું પ્રતીક ભવાનભગત’ છે. એમાં જોસેફ મેકવાનની ‘આંગળિયાત’ નવલનું ઉજળું અને ઉદાત પાત્ર ભવાનભગતની આંતરસંપદાને લેખકે વર્ણવી,
ભારતીયતા સંદર્ભે એની લાક્ષણિકતાઓ નોંધી બતાવી છે, બીજા લેખ ‘રંગ જીવનમાં:રેખાચિત્રોમાં
પૂરનારા જોસેફ મેકવાન’માં જોસેફ મેકવાનનાં આઠ રેખાચિત્રસંગ્રહ ‘વ્યથાનાં વીતક’, ‘વહાલનાં વલખાં’, ‘મારી ભિલ્લુ’, ‘જનમજલાં’, ‘જીવતરનાં નાટારંગ’, ‘માણસ હોવાની યંત્રણા’, ‘ન યે ચાંદ હોગા’ અને ‘રામનાં રખોપાં’ રુપે અધ્યાપકિય લેખ છે.
ત્રીજા લેખ ‘અમર
બલિદાનની વીરગાથા’માં
ચારુલકુમાર ચૌહાણનાં ‘વીરમાયા અમર ચરિત્ર’ની ગ્રંથસમીક્ષા છે, ચોથા લેખ ‘હાચ્ચે હાચ્ચુ બોલનઅ ફાડ્યા?’ શંકર પેંટરનાં કાવ્યસંગ્રહમાંથી નિતરતી દલિત સંવેદનાને ચર્ચી છે.
પાંચમા લેખ ‘સત રે બોલો નહીંતર મત બોલો’માં દલિત કવિ કાંતિલાલ ડાહ્યાભાઇ મકવાણાનાં કાવ્યસંગ્રહની
લાક્ષણિકતાઓને લેખકે ગણાવી, એમાં દલિતસંપદાની ઝાંખી કરાવી આપી છે. છઠ્ઠો લેખ ‘હું હણાયો છું’ શીર્ષક હેઠળ પૂનમચંદ
પરમારનાં ત્રીજા કાવ્યસંગ્રહ ‘સમણાને સથવારે’ની ગ્રંથસમીક્ષા છે. તો સોળમાં લેખ ‘આ દેશ શું મારો નથી ?’માં પૂનમચંદ પરમારનાં ‘વાસંતી વાયરા વાજો’ એ કાવ્યસંગ્રહની સમીક્ષા છે. આ બંન્ને કાવ્યસંગ્રહોમાં પણ લેખકનો
મૂળત: આશય તો દલિત આંતરસંપદાને ઉજાગર કરતી ગુણસંપદાનો મહિમા અને કાવ્યસંગ્રહનાં
સામગ્રી-શિલ્પ-શૈલી-સંદેશને નિર્દેશવાનો રહ્યો છે.
સતરમો લેખ ‘દલિત ભોગ્યાની કથા-વ્યથા’માં દલિત કવિ વિનોદ ગાંધીની
શ્રેષ્ઠ દલિતકવિતા તરીકેની પસંદગી નિમિત્તેનાં નિર્ણાયક તરીકેનો નિમંત્રિત લેખ છે.
આ પુસ્તકનો બીજા ખંડનો અંતિમ આઠમો લેખ ‘નિજ ઘરનું સરનામું શોધવાની મથામણ: એકરુપ’ (હરજીવન દાફડાનો
કાવ્યસંગ્રહ)ની ગ્રંથસમીક્ષા છે. એમાં પ્રગટતાં દલિતચેતનાનાં આગવા અને અનોખા
મિજાજને ઓળખવાનો લેખકનો આશય રહ્યો છે.
આમ, બે ખંડમાં કુલ અઢાર લેખસંચયનું ડો.નાથાલાલ ગોહિલનું પુસ્તક ‘દલિત સંપદા:સાહિત્ય અને
સૌંદર્ય’
એનાં શીર્ષકને અનુરુપ અને એ અવાજસૌંદર્યનું ભાવનપ્રિય બની રહે તેવું છે. કાળા સાથે
સંમિશ્રિત અન્ય રંગદર્શી મુખપૃષ્ઠ સાથે તંબૂર અને શીર્ષકનું મુદ્રણ પીળાશભર્યુ
સાંકેતિક અને લાક્ષણિક બને છે. પાછલા પુઠ્ઠા ઉપર લેખકની કેફિયત અને કૃતિગત
સંક્ષિપ્ત નોંધ પુસ્તકનાં નર્મ-મર્મને ઉઘાડનારી બારી સમાન છે.
પ્રારંભે રહી ગયેલી અને
જુદા જુદા લેખોમાં રહી ગયેલાં મુદ્રણદોષને નિવારી શકાયા હોત, એ માત્ર
આંગૂલીનિર્દેશ સાથે પ્રસ્તુત પુસ્તક ખરેખાત ‘દલિતસાહિત્ય અને દલિતચેતના’નું નોંધપાત્ર ને નાજુકસંવેદનાને અભિવ્યક્ત કરતું પુસ્તક બની રહે છે.
લેખકશ્રી ડો. નાથાલાલ ગોહિલને અભિનંદન સાથે
આવા અન્ય પુસ્તકો પણ આપતાં રહે એ આશા અને આસ્થા સાથે..
પ્રો.ડો.રમેશ સાગઠિયા (જૂનાગઢ. મો.નં.99795-98442) ‘રાજહંસ’
કૈલાશનગર-બ્લોક નંબર=10;
લક્ષ્મીનગર સોસાયટી પાસે; લોઢિયાવાડી પાછળ-જૂનાગઢ. તા.15 ફેબ્રુઆરી 2014 (જન્મદિવસ)
વિશેષ....
મનથી ફેરવો માળા રે,
મે’લી
દીયો જગતનાં ચાળાં રે...મન0
અનેક જન્મ થયા અડવડતાં, ને કર્મ લાગ્યા કાળા રે;
જમ લઇ જાશે જીવને, ઓલ્યાં ટોપિયુંવાળાં રે..............મન0
ભલિયુવાળાં ભેટશે ને, ત્યાં નહીં પૂગે પાળા રે;
માલ વાળ્યો ઓલ્યો મરજીવે, તીખી તરવાર્યુંવાળા રે...મન0
ઇંન્દ્ર સરખા ઉઠે ગયા ને, તેનાં કોઇ ટાળા રે;
ભોજોભગત કહે થિર ઠેરાવો, અધર ઉચાળાં રે..............મન0
મનની મોટાયું મેલો રે, આ
તો અવસર છે છેલ્લો રે....મનની0
નહીં રહ્યાંનું નિશ્ચય કરી જાણજો, કુટુંબ કબીલો રે;
સિધ્ધ સાધક કંઇ ચાલ્યા ગયા, તેનો વાધ્યો નહીં વેલો રે....મનની0
દુ:ખથી ભોમ દેવતાએ મેલી, તમે સુખથી ઉપર ચાલો રે;
ઓછો વાસ નહીં ઉગરિયે, તમે ઠેકાણે ઠેલો રે..................મનની0
ધારણ ધરતી અખંડ વરતી, હરખ કરી હાલો રે;
ભોજોભગત કહે ગુરુપ્રતાપે, ખરી નીતિ સે ખેલો રે............મનની0
No comments:
Post a Comment