ભારતીય સંતવાણી અને દલિતસાહિત્યની ભેદરેખા
સંદર્ભ : થોડીક પાયાની સમજ.
પ્રો.ડો.રમેશ
સાગઠિયા(જૂનાગઢ)
ભારતીય સંતવાણી (લલિત સાહિત્ય ?) અને ભારતીય
દલિતસાહિત્ય બંન્ને સાહિત્ય હોવા છતાંયે બંન્નેમાં મને લગભગ પંદરેક જેટલી ભેદરેખા
કે ભિન્નતાનાં સંદર્ભ મને જોવા મળ્યાં છે, અત્રે હું મારા શોધપેપરનાં મુદાઓની
મિતાક્ષરી ચર્ચા (એબસ્ટ્રેક) કરીશ.
(1)
સામગ્રીભેદ બાબતે : આ બંન્નેમાં સામગ્રી બાબતે ભિન્નતા જોઇ
શકાય છે, સંતવાણી ધર્મ, ભક્તિ, યોગ, ઉપદેશ, જ્ઞાન, મોક્ષ કે શાશ્વતીનાં સત્વ-તત્વ
સંદર્ભબોધનું સાહિત્ય બને છે; જ્યારે દલિત સાહિત્યની સામગ્રી મળેલી સમસ્યાઓ,
વિરોધ, વિદ્રોહ અને વિકલ્પની શોધનું સાહિત્ય બને છે. જો એ સામાજિકાદિ સમસ્યાઓ
ઉકેલાય જાય તો એની પ્રાસંગિકતા ઓછી થઇ જાય. તેથી, સંતસાહિત્યની સામગ્રી
અધ્યાત્મબોધની સાહિત્ય સામગ્રી રુપે બ્રહ્મ, આત્મા, જીવ, માયા આવે છે, જ્યારે
દલિતસાહિત્ય નૈતિકમૂલ્યની સાથોસાથ સામાજિક મૂલ્યબોધની ભારપૂર્વક અપેક્ષા સેવે છે.
તે સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાની અપેક્ષા રાખે છે.
(2)
પ્રયોજનભેદ બાબતે : બંન્નેમાં પ્રયોજનભેદ જોવા મળે છે.
કાવ્યશાસ્ત્રનાં છ પ્રયોજનો પૈકી સંતવાણીનાં વ્યવહારજ્ઞાન, અનિષ્ટનું નિવારણ,
કાંતાસંમિત ઉપદેશ અને અલૌકિક આનંદ છે; ‘ભક્તિ આંદોલન’
રુપે જોઇ શકાય. જ્યારે દલિતસાહિત્ય છ પ્રયોજનો સાથે એક ‘વૈચારિક
આંદોલન’ની તરીકે જોઇ શકાય છે.
(3)
શૈલીભેદ બાબતે : શૈલીવિજ્ઞાન બાબતે સંતવાણીની
પ્રસ્તુતિ પઠન કે વાચન રુપેની નહીં; પરંતુ ગાયકીની છે. એનાં આગવા ઢાળ, રાગ, સમય
સંદર્ભને જોઇ શકાય, પદ્યસ્વરુપ હોવાથી, કંઠસ્થ કે હસ્તપ્રત રુપે હોવાથી એની ગેયતા
એને ટકાવી રાખે છે. જ્યારે દલિતસાહિત્ય નૂતન શૈલીવિજ્ઞાન સાથે અનુબંધ ધરાવે છે.
લિખિત અને આજની ગ્રંથસ્થ રુપેની એની શૈલી જોવા મળે છે. વળી, તે પદ્ય, ગદ્ય અને
મિશ્ર રુપે જોવા મળે છે.
(4)
સંરચનાભેદ બાબતે : સંતવાણીનાં પદ્યપ્રધાનતાને કારણે ચાર
મહત્વનાં લક્ષણો મળે છે. ધ્રુવપંક્તિ, ગેયતા, ગુરુમહિમા અને નામાચરણ. જ્યારે
દલિતસાહિત્યમાં સ્વરુપ વૈવિધ્યતાને કારણે, સભાન સર્જન પ્રક્રિયાને કારણે
સંરચનાકલાને જુદી રીતે જોઇ-જાણી-તપાસી શકાય તેમ છે. એનાં કથાસ્વરુપ, કાવ્યસ્વરુપ,
આત્મકેન્દ્રી સ્વરુપ કે પ્રકિર્ણ દરેકની સંરચના તત્વને તપાસી શકાય..
(5)
શબ્દચયન બાબતે : ભારતીય સંતવાણીનું શબ્દભંડોળ દેશ્યથી
માંડીને સંસ્કૃત, તત્સમ, તદભવ, હિન્દી-વ્રજ મિશ્રિત મળી શકે છે, ઉપરાંત યોગસાધનાની
પારિભાષિક શબ્દાવલિ જોવા મળે છે. જ્યારે દલિત સાહિત્યમાં પ્રાદેશિક, રાષ્ટ્રીય,
આંતરરાષ્ટ્રીય એવી અન્યભાષાઓને પણ સ્વીકારે છે. તેથી બંન્નેનું ભાષા, શબ્દસૌંદર્ય
જુદી તપાસનો વિષય બની શકે છે.
(6)
સાહિત્ય સ્વરુપભેદ બાબતે : ભારતીય સંતવાણીમાં સાખી, આરતી,
પ્રસંગપદો, આરાધ, અવળવાણી, રવેણી, અરજ, પ્રભાતી, પ્રભાતિયા વગેરે જેવાં અનેક
પ્રકારો મળે છે. સાથોસાથ ભજન રુપકમાં ચૂંદડી, પ્યાલો, કટારી, ચરખો, ઝાલરી, જંતરી,
જંતર વગેરે મળે છે. જ્યારે દલિત સાહિત્યમાં નવલકથા, નવલિકા, નાટક, નિબંધ,
રેખાચિત્રો, આત્મકથા, ગઝલ, ગીત, પ્રસંગકાવ્યો અને એવાં આધુનિક પદ્ય, ગદ્ય સાહિત્ય
સ્વરુપો મળે છે. તેથી બંન્નેની તપાસ-સમીક્ષા-અભ્યાસનાં ક્ષેત્રો એ રીતે જુદા બની
શકે છે.
(7)
યુગબોધનાં સંદર્ભે : ભારતીય સંતવાણી યુગસંદર્ભ, સમયખંડની
બાબતે મધ્યકાળને લક્ષે છે. તેથી એની લાક્ષણિકતાનો એ સંદર્ભે બને છે; જ્યારે
દલિતસાહિત્ય આધુનિકતા અને આઝાદી બાદની જાગૃતિકાળની સાહિત્યિક ચળવળ છે. તેથી યુગબોધ
અને સમકાલીન સ્થિતિ-પરિસ્થિતિ સંદર્ભે બંન્ને જુદા બની રહે છે.
(8) સાહિત્યહેતુભેદ
બાબતે : હેતુ અર્થાત પ્રતિભા, નિપૂણતા અને અભ્યાસની બાબતે બંન્ને અલગ
છતાંયે અમૂલ્ય છે. એક નિરક્ષરોની વાણી રુપે શબ્દસાધના કે આરાધના છે, જ્યારે બીજું
સાક્ષરવર્યની સભાન અક્ષર-અર્થ સાધના છે. એક સહજસાધ્ય બીજું ઉત્પાદ્ય અને જાગૃત
મનભાવન સર્જન બને છે.
(9)
રસભાવન બાબતે : સંતવાણી બહુધા શાંત, અદભૂત, શૃંગાર,
વીર અને કરુણરસની વિભાવના બને છે. સાથોસાથ રમણિયતા, રસ, રહસ્યવાદનું સર્જન બને છે.
જ્યારે દલિતસાહિત્યને ભાષા, કલ્પન, કલ્પના, રંગદર્શીતા, સૌષ્ઠવવાદ, વાસ્તવવાદ, ઔચિત્ય,
વક્રોક્તિ, ગુણ, રીતિ, વિવેચન, રસકલાદિ બાબતે ને નૂતન અભિગમથી ઓળખી,પામી
શકાય છે.
(10)
પ્રતિબધ્ધતા બાબતે : સંતવાણી દાસ-દાસી, ભક્ત, સંત, સતિ કે
મંદમતિનું ઇશ્વર આરાધનાનું સર્જન કહી શકાય. એની સર્જકીય સભાનતા બહુ જ અલ્પ, પણ
દલિતસાહિત્ય સભાન, સાક્ષર અને સર્જકલક્ષી ઉપસતું જોઇ જાણી શકાય છે. એકની
સાંસ્કૃતિક પ્રતિબધ્ધતા સાથે તો બીજાની સામાજિક, આર્થીક, રાજકિય ને શૈક્ષણિક
પ્રતિબધ્ધ્તા સંદર્ભે વિચારી શકાય.
(11)
સ્થળ-સંદર્ભ-સંદેશ બાબતે : સંતવાણી મધ્યકાળની અને નખશિખ
ધર્મપ્રધાન છે. ચાર પુરુષાર્થની કામનાને સેવે છે, એ કરુણાભાવે સમજાવવાનો પ્રયત્ન
કરે છે. જ્યારે દલિતસાહિત્ય ડો.બાબાસાહેબ આંબેડકરનાં સામાજિકાદિ માનુષી સમાન
અધિકારને ઝંખતું કે પ્રચાર-પ્રસારનું સાહિત્ય છે, એમાં દલિતચેતના (દબાયેલા
વર્ગ-વર્ણ-જાતિ-જ્ઞાતિનો અવાજ) છે. પ્રદેશથી માંડીને આંતરરાષ્ટ્રીય સ્તરે એમનું
વૈશ્વિક વૈચારિક અને ભાવનાત્મક જોડાણ બને છે. અર્થાત જ્યાં, જે, જેવી રીતે
ભેદભાવની રીતિ-નીતિઓ છે, તેની સામેનો પડકાર છે, પ્રશ્નો ઉઠાવવા અને પદકારો ઝિલીને
એનાં કાયદાકિય પ્રત્યુત્તર શોધવાની મથામણ છે.
(12)
સાહિત્યિકવાદ બાબતે : બંન્નેને પ્રાચ્યથી માંડીને અદ્યતન
સાહિત્યિક વાદ-વિવાદ-સંવાદને કેન્દ્રીત બનીને તપાસી શકાય તેમ છે. પ્રતીકવાદથી
માંડીને પ્રતિવાદ સુધીનાં ઉદાહરણો સાથે એની સમીક્ષા-ચર્ચાદિ થઇ શકે.
(13)
પ્રત્યાયન બાબતે : બંન્નેનો ભાવક વ્યક્તિગત, સમૂહગત અને
મિશ્ર રુપે જોઇ શકાય. બંન્નેમાં પોતીકી આગવી ભાવનક્ષમતા જરુરી. અભિદષ્ટિને અવગમન
અપેક્ષા આવશ્યક બને છે. ‘અવગમન નહીં તો સાહિત્ય નહીં’ એ
સાહિત્યિક ભાવનપ્રિયતા બંન્નેને આગવી રીતે તપાસી કે જોઇ-જાણી શકાય તેમ છે.
(14)
શીર્ષક ભેદ બાબતે : સંતવાણીની સામાજિક, સાંપ્રદાયિક,
સાંસ્કૃતિક, સાહિત્યિક, ધાર્મિક, આધ્યાત્મિક, સાધનાત્મક જેવી અનેક સ્તરે વિચારણા
થઇ શકે, સંતવાણી ગુલામીકાળનું (વિધર્મી અને વિદેશી) સાહિત્ય છે; ભજનનાં શીર્ષક
બહુધા એનાં સંત-કવિઓએ આપ્યા હોતા નથી, પણ દલિત સાહિત્યની કોઇપણ કૃતિનાં શીર્ષક એક
સ્વતંત્ર અભ્યાસ માગી લે તેવો મુદ્દો છે. વળી, દલિતસાહિત્ય સ્વાતંત્ર્ય પ્રાપ્તિ
પછીનું, ભારતવર્ષનાં બંધારણીય મૂળભૂત અધિકારો, સમાન હક્ક અને કાયદાઓ, સંવિધાન
સંકલ્પના કાળનું (સ્વધર્મી અને સ્વદેશી કાળનું) સાહિત્ય બને છે. તેથી બંન્ને
પ્રકારનાં સાહિત્યની શીર્ષક પસંદગીમાં પણ ભારે તફાવત જોઇ શકાય છે.
સમાપન
: અત: ભારતીય સંતસાહિત્યની અને ભારતીય દલિત સાહિત્યની આવી અનેક
ભેદરેખાઓને સાંપ્રતકાળે સમીક્ષા કે અભ્યાસનાં મુદ્દાઓ બની શકે છે. વળી, બંનેનો ભાષાકિય,
વ્યાકરણગત, સાહિત્યનાં સિધ્ધાંત, તુલનાત્મક અભ્યાસ જેવી વિધવિધ પણ નવી જ દિશાઓ પણ વિવેચનનાં
નૂતન અભિગમ તરીકે સંપાદન અને સંશોધન શક્યતાઓ પણ પડેલી જોઇ શકાય છે.
નોંધ=(
પ્રસ્તુત મારા આ શોધપેપરને અંતે સંબંધિત એવા સાતેક જેટલાં સંદર્ભગ્રંથોની સૂચિ
મૂકી આપેલી છે.)
No comments:
Post a Comment